ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું : યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન!

ઈરાન-ઇઝરાયલ યુદ્ધના એક મહિના બાદ સૌરાષ્ટ્રના 'એક્સપોર્ટ-ઈમ્પોર્ટ' લોજિસ્ટિક્સ પર સૌથી મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્ર માત્ર ઉત્પાદક નથી પણ વૈશ્વિક સપ્લાય ચેઈનનો મહત્ત્વનો ભાગ પણ છે. પશ્ચિમ એશિયામાં અશાંતિને કારણે દરિયાઈ માર્ગો(ખાસ કરીને રેડ સી અને હોર્મુઝની ખાડી) જોખમી બનતા નૂર ભાડામાં તોતિંગ વધારો થયો છે. જો યુદ્ધ હજુ એક મહિનો ખેંચાશે તો આર્થિક નુકસાનનો આંકડો રૂ. 3500 કરોડને પાર કરી જશે. સ્થાનિક વેપારીઓ હવે સરકાર પાસે એક્સપોર્ટ સબસિડી અને ઈંધણના ભાવમાં રાહતની માંગ કરી રહ્યા છે. ઈરાન યુદ્ધના કારણે લોજીસ્ટીક્સ ક્રાઈસીસ સર્જાઈ છે. શિપિંગ કંપનીઓએ 'વોર રિસ્ક સરચાર્જ' લાદ્યો છે. દુબઈ-ગલ્ફ રૂટના ભાડામાં બે ગણો વધારો થયો છે તો યુરોપ રૂટમાં કેપ ઓફ ગુડ હોપ જવું પડતું હોવાથી અંતર 6,000 કિમી વધ્યું છે અને ભાડામાં 3 ગણો વધારો થયો છે.
પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દ્વારકા
- ઈરાન યુદ્ધને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ અને શિપિંગ રૂટ બદલાતા મત્સ્યોદ્યોગની માઠી, સી-ફૂડ' એક્સપોર્ટમાં 40%નો ઘટાડો
- ડીઝલના ભાવવધારાની અફવા અને નિકાસમાં અવરોધથી અફરા-તફરી મચી જતાં 5000થી વધુ ફિશિંગ બોટ્સ કિનારે લાગરી દેવાઈ
- પ્રવાસન ક્ષેત્રે અસરથી જુનાગઢ, સાસર, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદરમાં ટુરિસ્ટ ઘટ્યા, હોટલોમાં બુકિંગમાં 55% જેવું ગાબડું
- કૃષિ-ખેતપેદાશો(સીંગદાણા-કેસર કેરી)ની નિકાસમાં વિલંબ, મધ્ય-પૂર્વના દેશોમાં દેશોમાં જતા માલ અટકી પડતા ખેડૂતો-વેપારીઓને ફૂટકો
- અમરેલીના હીરા ઉદ્યોગ પર આડકતરી અસર, રત્ન કલાકારોની આવકમાં 30%નો ઘટાડો, વૈશ્વિક મંદી, મોંઘવારીને કારણે ખરીદશક્તિ ઘટી

