પશ્ચિમ એશિયામાં તણાવ છતાં ઇંધણનો પૂરતો સ્ટોકઃ સરકાર

વિશ્વભરમાં કાચા તેલની વધતી કિંમતો અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલા અસ્થિર સંકટ વચ્ચે ભારત સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે આપેલા સત્તાવાર નિવેદન અનુસાર, દેશની તમામ ઓઈલ રિફાઈનરીઓ પોતાની પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. સરકાર પાસે કાચા તેલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પણ એટલો છે કે બજારમાં કોઈપણ પ્રકારની અછત સર્જાવા દેવામાં આવશે નહીં. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે રવિવારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ(એલપીજી)નો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી. વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં અસામાન્ય ઉછાળો આવ્યો હોવા છતાં સરકારે સ્થાનિક બજારમાં તેલની કિંમતો સ્થિર રાખી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ મોંઘું થવાની સીધી અસર લોકોના ખિસ્સા પર ન પડે તે માટે ભારત સરકારે કડક પગલાં લીધાં છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. ૧૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ જારી કરાયેલા જાહેરનામા મુજબ, ડીઝલની નિકાસ પર લેવાતી ડ્યુટી વધારીને ૫૫.૫૦ રૂપિયા અને વિમાનોના ઇંધણ પર ૪૨ રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવી છે.

