Voice of Surat

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ

Posted On: |1 min read
Voice of Surat News

સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરી દેવાઈ છે અને જે મુજબ 26મી એપ્રિલે રાજ્યભરમાં ચૂંટણી છે. ત્યારે આ ચૂંટણીને લઈને યુનિવર્સિટીઓની પરીક્ષાઓથી માંડી જાહેર અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓને અસર થઈ છે અને પરીક્ષાઓની તારીખો બદલવી પડી છે અથવા તો પડશે. જેમાં ખાસ કરીને ટાટ માધ્યમિકની 26મીથી બદલીને ત્રીજી મેના રોજ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT) સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી આગામી સમયમાં લેવાનાર છે. જેમાં ધોરણ 9-10ના શિક્ષક માટેની ટાટ સેકન્ડરી 26મી એપ્રિલે લેવાનું આયોજન કરી દેવાયું હતું. પરંતુ 26મી એપ્રિલે ચૂંટણી જાહેર થતા હવે આ દિવસે પરીક્ષા નહીં લઈ શકાય અને જેથી પરીક્ષા બોર્ડે પરીક્ષાની તારીખ બદલી નાખી છે. જે મુજબ હવે ત્રીજી મેના રોજ ટાટ સેકન્ડરી લેવાશે. ટાટ સેકન્ડરી માટે રાજ્યભરમાંથી 2.07 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષા બોર્ડની નોટિસ મુજબ માત્ર પરીક્ષા તારીખ બદલાઈ છે, જ્યારે જાહેરનામાની અન્ય બાબતો અને જોગવાઈઓ યથાવત રહેશે. ચૂંટણીને લીધે એક સપ્તાહ પરીક્ષા પાછી ઠેલાઈ છે અને હવે ત્રીજી મેએ લેવી પડશે.