સુરત પોલીસ કમિશનરની પહેલ

કોઈપણ મોટું પરિવર્તન હંમેશા એક નાની પણ અનોખી પહેલથી શરૂ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ રૂઢિચુસ્ત વિચારો છોડીને સમાજ કે પર્યાવરણના હિતમાં નવું કાર્ય કરે છે, ત્યારે તે અન્યો માટે પ્રેરણા બને છે. સાચા અર્થમાં, હિંમતભેર લેવાયેલું એક અનોખું ડગલું જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખે છે.
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ઊર્જા બચત અને વધતી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. હાલ મધ્ય પૂર્વના ખાડી વિસ્તારમાં ચાલી રહેલા તણાવને કારણે ઊર્જા સંકટ ઊભું થવાની શક્યતા વચ્ચે તેમણે સુરત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી વાહનો જરૂરિયાત વગર ચાલુ ન રાખવા કડક સૂચના આપી છે.આ નિર્ણયથી સરકારી સ્તરે ઈંધણ બચતનો મહત્વનો સંદેશ ગયો છે અને શહેરમાં પણ આ પહેલની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. હાલ ઉનાળાની ઋતુમાં મોટાભાગના સરકારી વાહનોમાં એસીનો વધુ ઉપયોગ થતો હોવાને કારણે ઈંધણની ખપત વધી જાય છે. પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલો આ નિર્દેશ સુરત શહેર પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે લાગુ રહેશે. ખાસ કરીને સરકારી વાહનોના ડ્રાઈવરોને ઈંધણ બચત અંગે વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનરની આ પહેલને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi દ્વારા પણ આવકારી લેવામાં આવી છે. માનવામાં આવે છે કે આવનારા સમયમાં આ પ્રકારની પહેલ રાજ્યના અન્ય વિભાગોમાં પણ અમલમાં આવી શકે છે.

