10 વર્ષમાં આગના 24,489 બનાવ,પાંચ વર્ષમાં રુા.440 કરોડનું નુકશાન

અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષમાં આગ લાગવાના ૨૪,૪૮૯ બનાવો બન્યા છે અને ભીષણ આગને કારણે સર્જાતી દુર્ઘટનાઓમાં ૧,૯૬૦ વ્યક્તિઓને દાઝી જવાને કારણે નાની મોટી અને ગંભીર ઈજા થઈ છે અને કેટલાક લોકોને મોત નીપજ્યા છે તેમજ પાંચ વર્ષમાં વિનાશક આગ ફાટી નીકળવાને કારણે રૂ.૪૪૦ કરોડનું નુકસાન થયું છે અને ૨૦૨૩-૨૪ના વર્ષમાં આગ-અકસ્માતોને કારણે પ્રજાને રૂ.૧૩૮.૨૪ કરોડનું નુકસાન થયું છે. શહેરમાં દર મહિને આગ લાગવાના ૨૧૦ બનાવો નોંધાયા છે. AMC ફાયર બ્રિગેડમાં ૭૯૬ જગ્યા પર ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી ૩૧૦ જગ્યા પર ભરતી કરવામાં આવી ન હોવાને કારણે શહેરમાં આગ લાગવાની ઘટના વેળા રાહત અને બચાવ કામગીરીને માઠી અસર થાય છે. AMC બોર્ડમાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, ઉનાળામાં શહેરમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થશે તે બાબતને ધ્યાનમાં લઈને બચાવ માટે પગલાં લેવા જરૂરી છે.

