સુરતની લાજપોર જેલમાંથી 21 કેદી બોર્ડની પરીક્ષા આપશે
Posted On: |1 min read

સુરતની લાજપોર મધ્યસ્થ જેલના ‘પરીક્ષા સેન્ટર’ ખાતે કુલ ૨૧ કેદીઓ બોર્ડ પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે. ધોરણ-૧૦માં અભ્યાસ કરતા ૪ પાકા કામના કેદી અને ૬ કાચા કામના આરોપીઓ મળી કુલ ૧૦ બંદીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ-૧૨માં ૪ પાકા કામના કેદી અને ૭ કાચા કામના કેદી મળી ૧૧ બંદીઓ પોતાનું શૈક્ષણિક સ્વપ્ન સાકાર કરવા તૈયાર છે. બંદીઓ પરીક્ષાની યોગ્ય તૈયારી કરી શકે તે માટે જરૂરી પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરીની સંપૂર્ણ વ્યવસ્થા કરાઇ છે.માત્ર શિક્ષણ પૂરતું જ નહીં, પરંતુ મનોબળ વધારવાની દિશામાં પણ પ્રશાસન આગળ આવ્યું છે. નાયબ અધિક્ષક એ.એચ. રાજપુત અને સીનીયર જેલર પી.ડી. હિહોરીયા પરીક્ષાર્થી બંદીઓને માર્ગદર્શન આપી ગુલાબનું ફૂલ અર્પણ કરી મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી.

